ઘણાં સમય પહેલાં પૂજ્ય આત્માનંદની કેસેટ ઘણીવાર સાંભળવાનું થયેલું. ખાસ કરીને ઘણીવાર એટલે સાંભળી કે જીવનધ્યેય નક્કી કરવાની મથામણ ઘણી કપરી હોય છે. બાળપણમાં સંવેદનશીલ હ્ર્દય ઘણીવાર વાસ્તવિકતાથી દુર અથવા પોતાની પ્રકૃતિને કે સ્વભાવથી અજાણ ખાલી હ્ર્દયથી દોરાઇ જાય એવી શક્યતાઓ ઘણી વધારે હોય છે. જો કે હ્ર્દયથી લીધેલા દરેક નિર્ણય ઘણું-ખરું સાચા જ હોય છે. તોયે જીવન ધ્યેય દરેક જણ પોતાની પ્રકૃતિમુજબ નક્કી કરે છે અથવા કરવું જોઇએ એવું એ વાર્તાલાપમાં કીધું હતું.
થોડાક શબ્દોમાં એ સાર કંઇક આવો છે.
જો તારું હ્ર્દય વધારે કામ કરતું હોય તો તું ભક્તિ માર્ગે જજે.
જો તારું દિમાગ વધારે કામ કરતું હોય તો તું જ્ઞાન માર્ગે જજે.
જો તારા હાથ વધારે કામ કરતા હોય તો તું કર્મના માર્ગે જજે.
જો તારું …… તો તું રાજમાર્ગે જજે .
શાસ્ત્રોમાં જે ૪ માર્ગથી પોતાની ઓળખ સુધી પહોંચવાનો માર્ગ કહ્યો છે એને સરળભાષામાં જીવનધ્યેય કેવી રીતે નક્કી કરી શકાય એ આ વાર્તાલાપમાં સહજ રીતે સમજાવવામાં આવ્યું હતું. આપણે બધા એક જ છીએ. મારો કે તમારો દરેકનો આત્મા શુધ્ધઆત્મા જ છે. પરંતુ કર્મોના બંધનથી આપણાં દરેકની પ્રકૃતિ અલગ અલગ હોઇ શકે. પરંતુ મુળભુત રીતે આપણે બધા ધીમે ધીમે પોતાની ઓળખ માટેની મથામણમાં જ અટવાયેલા હોઇએ છીએ. કોઇ સહજતાથી આ બધી ખોજ કરે છે તો કોઇ ક્રમે કરીને જીવનનાં અનુભવોથી આ મથામણમાં આકર્ષાય છે. પણ એ માટે કર્મ તો દરેક જણ કરે જ છે. ફરક એટલો જ કે દરેકની પ્રકૃતિ જુદી છે એટલે દરેક જણ જુદો જુદો માર્ગ અપનાવે છે.
મેં જ્યારે જ્યારે પણ મથામણ કરતા કોઇનું પણ અવલોકન કર્યું તો આ જ વાત મુખ્ય છે એવું મેં નોંધ્યું. કે સાચે જ દરેક જણ પોતાનું જીવન ધ્યેય પોતાની પ્રકૃતિમુજબ નક્કી કરે છે. અને દરેક જણ પોતે નક્કી કરેલા માર્ગે યોગ્ય પુરુષાર્થથી ક્રમે કરીને આગળ વધે જ છે.
નોંધઃ અહિં જીવનધ્યેય એટલે પ્રોફેશન કે પ્રોફેશનલ ડીગ્રી નહિં, પણ જે કાર્યો દ્રારા આપણે સમાજને મદદરુપ થઇ શકીએ એવાં અંગત સ્વાર્થ વગરનું જીવનધ્યેય સમજવું.
Leave a comment